આજના નાનામાં નાની અંગત પળોના પ્રદર્શનમાં રાચતા યુગમાં એક એવી કવિતા રજૂ કરું છું, જે પ્રણયના મૌન સંવાદનો મહીમા કરે છે.

વાતો

હજુ ધીમે ધીમે, પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે :
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો ક્હેશે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.

અને કૈં તારા, જો, નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે, જો, જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા.

પછી તો ના વાતો : પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી તુજ હ્રદય માંહી શમી જતો.
~ પ્રહલાદ પારેખ ( 'બારી બહાર' (1940) માંથી)