ચૂંટેલા શેર

શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું?
સોમાંથી – એંશી આજે ગઝલકાર હોય છે.

નીતિને એ ગરીબોની મારી સલામ છે,
એક જ છે ભાવ એમનો, મોંઘા થતા નથી.

સંપૂર્ણ રીતે હોય જે આ જગ મહીં સુખી,
એવો તો એક પણ નથી જન મારી જાણમાં.

હ્રદયમાં જ ઘૂમરાઈ પીડે મને
જે આંસુઓ આંખોથી ખરતાં નથી.

એક જ ધરમને ધરતી પર સ્થાપિત કરી શકે,
એવો ખુદા તો ક્યાંથી ‘જલન’ શોધી લાવીએ?

અસલિયત હવે રહી છે કોના મહીં,
કહ્યું કોણે ગાજ્યા વરસતા નથી.

દિલને ભીનું રાખવા કાજ,
વહેવા ન દે, અશ્રુ ખાળ.

સૂતેલો ઉપાડી લઈ આવ્યા, સૌ દોસ્તો ભીની આંખોએ.
આવી ન શક્યો ખુદ્દાર ‘જલન’, જો નીજના મઝારે ચાલીને.

રાહ જોઈને નદી સુકાઈ ગઈ,
એને મન મળવાને સાગર આવશે.

ચલણ એનું નથી બિલકુલ ગગન પર એટલા માટે,
અહીંનું અહીંયાં છોડી દઈને ધન અહીંથી જતા રહીશું,

પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને?
શું જોઈએ છે તારે હાજર થઈને કે’ને?

અહીંયાં ડગલે પગલે ઠોકરો વાગે છે કબ્રોની,
‘જલન’ ક્યાં જઈને આ અરમાનની લાશોને દફનાવું?

હશે તો ઊઠી દોડવા માંડશે,
તું પ્રારબ્ધને લાત મારી તો જો.

એટલે ઝગમગે છે આ જીવન ‘જલન’
જે મળી ધોઈને હું વ્યથા પી ગયો.

દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?

ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવાં,
જાણે કે એને પકડીને હું પી જનાર છું.

અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું,
કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા.

તને પણ રહેતે કયામતની ભીતિ,
અને રાત-દિવસ ફિકર બંદગીની,
એ સારું જ છે કે ખુદા તારા માથે
નથી મારા ઈશ્વર સમો કોઈ ઈશ્વર.
– જલન માતરી (1934-2018)
‘તપિશ’ માંથી

3 thoughts on “ચૂંટેલા શેર – જલન માતરી (1)

  1. સરસ ચૂંટયા છે….
    મજા આવી વાંચીને…

    Liked by 1 person

  2. મૃત્યુ ની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
    કે જીવન ની ઠેસ ની તો હજુ કળ વળી નથી.

    Liked by 1 person

Comments are closed.