સૂર્યનું પગલું મળે નહીં
લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં
શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં
આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેળ
રાત્રિ ઉદાસીઓની છતાં કાં ઢળે નહીં?
આવા બૂરા દિવસ છે તમારા ગયા પછી
બોલ્યા કરું ને અર્થ કશો નીકળે નહીં
ખોવાયાં છીએ આપણે ક્યાં, કેમ શોધશું?
અણસારનો દીવો કોઈ રસ્તે બળે નહીં
રસ્તો રૂંધીને પાનખરોની તરસ ઊભી
લીલી ભીનાશ પાનમાં પાછી વળે નહીં
ચીતરેલ વૃક્ષ જેવી મળી છે સભાનતા
ખરતું નથી કશુંય કંઈ પણ ફળે નહીં
સૌ પંખીઓ વળી ગયાં પોતાના નીડ ભણી
મારી ઉદાસ સાંજને માળો મળે નહીં
પથ્થરની મૂર્તિ એટલા માટે મૂકી હશે
કે કોઈ બંદગી એ કદી સાંભળે નહીં
– રમેશ પારેખ (૨૦-૧૧-૧૯૬૭)
‘વરસાદ ભીંજવે’માંથી સંપાદક: સુરેશ દલાલ