કોણ એ સમજાવશે?
હું ગગનચુંબી સમયનો આગિયો,
ને બુઝાતી ક્ષણ જિજીવિષાાની છું,
વિસ્મયોને કોણ એ સમજાવશે?
હું પ્રતિક્ષાના ઝરુખાનો પવન,
ઓરડામાં શૂન્યતા મ્હેક્યા કરે,
પગરવોને કોણ એ સમજાવશે?
હું અપેક્ષાનાં નયનનું પંખી છું,
રેશમી એકાંતમાં ટહુકી જઈશ,
પાંપણોને કોણ એ સમજાવશે?
હું અતીતના માનસરનો હંસ છું,
બર્ફની પાંખોમાં સ્મરણો સાચવું,
વાદળોને કોણ એ સમજાવશે?
હું ક્ષિતિજનું સપ્તરંગી શિલ્પ છું,
સ્પર્શના વેરાનમાં નિઃશબ્દ છું,
અક્ષરોને કોણ એ સમજાવશે?
– કિશોર મોદી ‘જલજ’, 1983
‘ઝુમ્મર’
સંપાદક ડૉ. એસ. એસ. રાહી